
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોરબંદર જિલ્લાના કુલ ₹413.81 કરોડથી વધુના 46 જેટલા વિકાસલક્ષી પરકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે, તે શૃંખલામાં આગળ વધતાં પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે ₹291 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે તેમજ સમગ્ર જિલ્લા માટે અંદાજે કુલ ₹414 કરોડના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધી બાપુની આ જન્મભૂમિ પર સ્વચ્છતા અને સેવાના મૂલ્યો સાથે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર મક્કમ છે. તેમણે લોકોને આ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને વિકસિત ગુજરાત માટે પોરબંદરને લીડ લેતું મહાનગર બનાવવા આહવાન કર્યું હતું.




GU



































