
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઇની સુવિધા પૂરી પાડવાના સુગમ હેતુસર ₹161.59 કરોડના ખર્ચે વાત્રક જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત પાણીનું ઉદવહન કરી, અરવલ્લી જિલ્લાના 73 તળાવો ભરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ આ આયોજનથી આશરે 2200 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા સુનિશ્ચિત થશે, જે આ વિસ્તારના ખેડૂતોના જીવનમાં ખુશહાલી લાવવા સાથે નવી આશા અને પ્રગતિના દ્વાર ખોલશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીની સાથોસાથ વીજળી, શિક્ષણ, આરોગ્ય સુવિધા તેમજ કનેક્ટિવિટી જેવી પાયાની સગવડો છેક છેવાડાના ગામો સુધી પહોંચે તેવું સુદ્રઢ આયોજન કર્યું છે, તેમણે આજે લોકાર્પણ થયેલ યોજનાથી અરવલ્લી જિલ્લાને થનાર લાભો વિશે તેમજ રાજ્યના આદિવાસી વિસ્તારમાં થયેલ સિંચાઈના કામો વિશે સૌને માહિતગાર કરી, આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




GU









































